Sunday, September 20, 2015

કૃષિ ક્ષેત્રે તાકીદે સુધારા કરવા સરકાર પર દબાણ

nullnullnullnull

નવી સરકારની રચના થયે સવા વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આ સવા વર્ષના કાર્યકાળમાં હજુ સુધી આંખે ઊડીને વળગે એવી કોઇ બાબત નજરે પડતી નથી. તો બીજી તરફ સરકાર દ્વારા જે મુદ્દા આગળ વધવા માટે હાથ ધરાયા છે તેમાં પણ ભારે વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. જેનો તાજો દાખલો છે સંસદનું ચોમાસુ સત્ર.
વિવિધ મોરચે સરકારની અગ્નિ પરીક્ષા થઇ રહી છે. અગાઉ વરસાદ ખેંચાઇ જવાના કારણે દુકાળ જેવો માહોલ ઉદભવ્યો હતો. તો હવે અતિશય વરસાદના કારણે જંગી નુકસાન થવા પામ્યું છે. ગુજરાતમાં વિતેલા સપ્તાહમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યનો એક ખૂણો એવો બચ્યો નથી કે જ્યાં નુકસાન ના થયું હોય. હવે આ મુદ્દે પણ કેટલીક પ્રતિકૂળતાઓનો સરકારે સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉદભવી છે. આમ, સરકાર સમક્ષ કૃષિક્ષેત્રે સુધારા કરવા એ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. વિવિધ પરિબળોની અસર વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ગગડી રહ્યા છે. ક્રુડના ભાવ ઘટતા સરકારની તિજોરીને ફાયદો થવાનો જ છે, તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ પ્રજા ક્રુડના ભાવ ઘટાડાનો લાભ તેમના સુધી પહોંચે તેમ ઈચ્છી રહી છે. અગાઉ પણ આવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે સરકારે પહેલા પોતાની તિજોરી ભરી હતી અને પ્રજાને છુટીછવાઇ રાહતો જ મળી હતી. જો કે આ વખતે સરકારે પોતાની ક્ષમતા પુરવાર કરવાની રહેશે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો, આ ક્ષેત્રની કામગીરી એટલી સારી નથી. વિવિધ સમિતિઓએ કૃષિ ક્ષેત્રમાં તાકીદે સુધારાઓની કવાયત હાથ ધરવામાં આવે તેવી ભલામણો કરી છે. તેમાં વળી તાજેતરની અતિવૃષ્ટિએ બળતામાં ઘી હોમ્યું છે. બીજા એક મહત્વના મુદ્દાની વાત કરીએ તો, તેમાં એફસીઆઇ આધારીત જાહેર વિતરણ પ્રણાલીની જે દુકાનો છે તે વ્યવસ્થામાં પુનઃગઠનની ભલામણ છે તેમાં અડધું અનાજ લાભાર્થીઓ સુધી પહોંચતું નથી. પાક વીમા પર મિશ્રા સમિતિની રચના કરવામાં આવી હતી તે સમિતિએ કૃષિ ક્ષેત્રના પડકારોને પહોંચી વળવા માટે આધુનિક પ્રણાલીઓ પ્રસ્થાપિત કરવામાં આવે તેના પર ભાર મૂક્યો છે. મોદી અમલદારશાહી કાર્યક્ષમ બને તેના પર ભાર મૂકી રહ્યા છે. પણ કૃષિ ક્ષેત્રમાં તેની કોઇ અસર નથી જોવા મળી રહી. નાણાકીય વર્ષ ૨૦૧૫માં સરકારે ૧૫ મિલિયન ટન અનાજનો જથ્થો એફસીઆઇમાં સંઘરાયેલો છે. તેને વેચવાની જાહેરાત કરી જેથી કરીને એફસીઆઇની પડતરમાં ઘટાડો થવાની સાથે સાથે ફુગાવાને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે, પણ હજી ૪ મિલિયન ટન અનાજનું વેચાણ થઇ શક્યું છે. બફર સ્ટોક રાખવાના ધારાધોરણ પ્રમાણે ૪૨ મિલિયન ટનનો સ્ટોક રાખવાનો રહે છે તેની સામે તા. ૧લી જુલાઇની સ્થિતિએ એફસીઆઇ પાસે રૃા. ૫૦,૦૦૦ કરોડનો વધારાનો સ્ટોક હતો. શાંતાકુમાર સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવે તો સરકારે ૧૦ મિલિયન ટનનો જ સ્ટોક રાખવાનો રહે છે. અને ત્યાર પછી સરકારે ઘઉં અને ચોખામાં વાયદામાં ખરીદી કરવાની રહેશે. સરકાર જો આ વખતે સ્ટોકનો નિકાલ કરવામાં વિલંબ કરશે કે પછી તેને કઠોળ અને ખાદ્યતેલની આયાત કરવી પડી તેમજ તેના પરની ઊંચી જકાત ભારણમાં ઘટાડો કરવાની ફરજ પડી, તો સરકારની ફુગાવાને નિયંત્રિત કરવાની ક્ષમતા પર એટલા અંશે પ્રતિકૂળ અસર થશે. ટૂંકમાં સરકાર સમક્ષ હાલ કૃષિ ક્ષેત્રે તાકીદે સુધારા કરવા દબાણ થઇ રહ્યું છે. આ મુદ્દો અર્થતંત્રની પારાશીશી સમાન હોઇ સરકારે તેને અગ્રીમતા આપવી જ પડશે અન્યથા તેના વરવા પરિણામ જોવા મળે તો નવાઇ નહીં!!!

1 comment: