Sunday, September 20, 2015

યુવાધનનું ગૌરવ લેવાય છે પણ યોગ્ય નોકરીનો અભાવ

nullnullnullnull

યુનોના વસતિ વિભાગે તાજેતરમાં જ વિશ્વની ભાવિ વસતિ પરનો તેનો સુધારિત અહેવાલ રજુ  કર્યો છે. આ અહેવાલ પ્રમાણે વિશ્વની વસતિ જે એક દાયકા પહેલા વાર્ષિક ૧.૨૪ ટકાના દરે વધતી હતી તે હાલમાં ૧.૧૮ ટકાના દરે વધી રહી છે.  વિશ્વની હાલની વસતિ જે  ૭.૩૦ અબજ છે તેમાં આગામી પંદર વર્ષમાં ૧ અબજનો ઉમેરો થવાનો અંદાજ છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વની વસતિ વધીને ૮.૫૦ અબજ અને ૨૦૫૦માં આ આંક ૯.૭૦ અબજ પર પહોંચી જવા ધારણાં છે. વિશ્વની ૬૦ ટકા પ્રજા એશિયાના દેશોમાં વસે છે. ચીન તથા ભારત સૌથી વધુ વસતિ ધરાવતા દેશ છે. વિશ્વની ૧૯ ટકા વસતિ ચીનમાં જ્યારે ૧૮ ટકા ભારતમાં વસે છે.  વસતિની દ્રષ્ટિએ ભારત જે અગાઉ ૨૦૨૮માં ચીન કરતા આગળ નીકળી જવાની ધારણા રખાતી હતી તે હવે ૨૦૨૨માં જ  ચીનને પાર કરી જવાનો અહેવાલમાં અંદાજ મુકાયો છે. સાત વર્ષ પછી બને દેશો  દરેક ૧.૪૦ અબજની વસતિ ધરાવતા થઈ જવાની ધારણાં છે એટલે કે વિશ્વની કુલ વસતિમાંથી ૨.૮૦ અબજ વસતિ આ બે દેશો ધરાવતા થઈ જશે. ૨૦૨૨ પછી ભારતની વસતિ ૨૦૩૦ સુધીમાં ૧.૫૦ અબજ અને ૨૦૫૦ સુધીમાં ૧.૭૦ અબજ થઈ જવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. જ્યારે ૨૦૩૦ પછી ચીનની વસતિમાં સાધારણ ઘટાડો થવાની શકયતા જોવાઈ રહી છે.
ભારતની લોકસંખ્યાના વિભાજન વિશે ઘણું જ લખાઈ રહ્યું છે. યુનોના અંદાજ પ્રમાણે ભારત સૌથી વધુ યુવા વસતિ ધરાવે છે. ભારતની કુલ વસતિમાંથી ૮૩.૫૦ કરોડ યુવાધન એટલે કે ૩૫ વર્ષથી નીચેની વયના છે એટલે કે ૬૬ ટકા યુવાન વસતિ છે જ્યારે ચીનમાં આ આંક ૪૭ ટકા છે. આટલી જંગી માત્રામાં યુવાધન હોવાછતાં ભારતમાં વૃદ્ધત્વ જોવા મળે છે.  ભારતમાં ૩૫ વર્ષથી નીચેના લોકોની વસતિ ૨૦૫૦માં ૪૭ ટકાથી નીચે ચાલી જવાની યુનોના અહેવાલમાં અંદાજ મુકાયો છે. ૨૦૫૦માં ચીન માત્ર ૩૩ ટકા યુવાધન ધરાવતું રાષ્ટ્ર બની રહેશે. ભારતનો પોટેન્સિયલ  સપોર્ટ રેશિઓ ૧૧.૭૦ છે એનો અર્થ ૬૫ વર્ષથી ઉપરની દરેક એક વ્યક્તિ સામે કામકાજ કરવાની વય ધરાવનારાની સંખ્યા ૧૨ જેટલી છે. પોટેન્સિયલ સપોર્ટ રેશિઓ એટલે  અન્યો પર નિર્ભર રહેનારાઓનું પ્રમાણ. ૨૦૫૦ સુધીમાં ભારતનું આ પ્રમાણ ઘટીને પાંચ  જ્યારે ચીનનું બે થઈ જવાની ધારણાં છે. પોટેન્સિયલ  સપોર્ટ રેશિઓ  ઊંચો હોવાનો અર્થ તેનો જીડીપી આંક પણ પ્રમાણમાં ઊંચો રહેવો જોઈએ. આ ત્યારે જ શકય બની શકે છે જ્યારે તે માટેની નીતિઓ સાનુકૂળ હોય. સાનુકૂળ નીતિ કામકાજ કરી શકે તેવી વસતિને લેબર ફોર્સ તરફ વાળી શકે છે, જેને પરિણામે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) ઊંચો જોવા મળી શકે છે. ૨૦૨૦ સુધીમાં ભારતનો લેબર ફોર્સ વધીને ૫૬.૮૪ કરોડ રહેવાની પણ અહેવાલમાં ધારણાં મુકાઈ છે. આમ આ આંક આપણા નીતિવિષયકો માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે હાલના કરતા આ આંક ૪.૨૯ કરોડ વધુ છે, એટલે કે આગામી પાંચ વર્ષમાં સવાચાર કરોડ નવા રોજગાર ઊભા કરવાના રહેશે. આવનારા વર્ષોમાં ભારત વધુ યુવાધન તથા વધુ લેબર ફોર્સ ધરાવતો દેશ બનવાની તૈયારીમાં છે ત્યારે મહત્વના એવા આ સ્રોતોનો યોગ્ય ઉપયોગ થાય તે જરૃરી છે. એટલે કે આ સ્રોતનો પ્રોડકટિવ ઉપયોગ થવો રહ્યો. લેબર પ્રોડકટિવિટીની વાત કરીએ તો ભારતની લેબર પ્રોડકટિવિટીનો વિકાસ દર ૨૦૧૫ના અંતે પૂરા થયેલા પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ ૩.૮૦ ટકા હતો જ્યારે ચીનનો આ દર ૭.૪૦ ટકા રહ્યો છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ  વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૩૬૩૭ ડોલર છે જ્યારે ચીનમાં આ આંક ૨૩૮૦૯ ડોલર છે. ભારતમાં ઉત્પાદનક્ષમતાનો નીચો દર તેને વારસામાં મળેલા યુવાધનનો ખરા અર્થમાં ઉપયોગ થતો નહીં હોવાનું સૂચવે છે. દેશના લેબર ફોર્સની ઉત્પાદનક્ષમતાના નીચા દર માટે આવશ્યક તાલીમનો અભાવ હોવાનું માનવામાં આવે છે.  આવશ્યક તાલીમ નહીં મળી શકતા દેશને સ્કીલ લેબર ફોર્સ મળતો નથી. ફિક્કીના અગાઉના એક અહેવાલ પ્રમાણે, દેશમાં લેબર ફોર્સમાંથી માત્ર બે ટકાને જ કામને લગતી પૂરતી તાલીમ મળી શકે છે. ૨૦૨૦ સુધીમાં ભારત તાલીમબદ્ધ કર્મચારીની અછત તથા વધુ પડતા અનસ્કીલ્ડ લેબરની સમશ્યાનો સામનો કરતું હશે. દેશમાં પ્રવૃત અનેક આઈટી કંપનીઓ દ્વારા ભરતી કરાતા એન્જિનિયરોને ભરતી પછી પણ તાલીમ આપવી પડે છે. ૨૦૧૧માં જાહેર કરાયેલી નેશનલ મેન્યુફેકચરિંગ પોલીસિ હેઠળ ૨૦૨૨ સુધીમાં ઉત્પાદન ક્ષેત્રમાં ૧૦ કરોડ વધારાના રોજગાર ઊભા કરવા સાથે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૨૫ ટકા પર લાવવાની નેમ રખાઈ છે. ઉત્પાદન ક્ષેત્રમાં ઊભા કરાતા દરેક રોજગારની બહુવિધ અસર જોવા મળે છે. એક નવો રોજગાર સંબંધિત બેથી ત્રણ નવા રોજગાર ઊભા કરે છે, એમ પોલીસિમાં જણાવાયું હતું. વધી રહેલા મોટી સંખ્યાના લેબર ફોર્સને સ્થાન આપવા દેશના ઉત્પાદન ક્ષેત્રનો દ્વીઅંકમાં વિકાસ થાય તે જરૃરી છે. વર્તમાન કેન્દ્ર સરકારે આપણા ઉદ્યોગોની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારવા દેશના  યુવાનો તથા યુવતિઓમાં સ્કીલ વધારવા ખાસ યોજના ઘડી છે ત્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ના  દેશના વિવિધ મંત્રાલયના સ્કીલ ડેવલપમેન્ટના આંકડા  પર નજર નાખવામાં આવે તો તે ખાસ ઉત્સાહજનક નહીં હોવાનું જણાય છે.  મોદી સરકાર પોતાના વિવિધ મંત્રાલયોને કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન આપી રહી હોવા છતાં  ૨૦૧૪-૧૫ના વર્ષમાં સ્કીલ ડેવલપમેન્ટનો ટાર્ગેટ હાંસલ થઈ શકયો નહતો. નવા રચાયેલા સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યુઅરશિપ મંત્રાલય હેઠળની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સી (એનએસડીએ) દ્વારા એકત્રિત કરાયેલા આંકડામાં ૨૧ વિભાગો અને મંત્રાલયોએ ૨૦૧૪-૧૫ના વર્ષમાં કુલ ૭૬ લાખ  લેબર ફોર્સને તાલીમ પૂરી પાડી હતી  જ્યારે ટાર્ગેટ એક કરોડ પાંચ લાખ લોકોને તાલીમ  આપવાનો હતો. આપણા દેશમાં એન્જિનિયર થઈને બહાર પડતા યુવાન-યુવતિઓમાંથી ૭૦ ટકાને વ્યાપક તાલીમની આવશ્યકતા રહે છે એમ ક્રિસિલના એક અહેવાલમાં જણાવાયું છે. તેમનામાં ટેકનિકલ સ્કીલ્સનો અભાવ રહે છે. ભારતની વસતિમાં યુવાધનની વિપુલ માત્રા આપણી માટે જમા પાસુ છે ત્યારે આ યુવાધનમાં પૂરતી તાલીમ તથા કુશળતાનો અભાવ આપણી નબળી બાજુ છે. પોતાની વસતિના જોરે જો ચીન વિશ્વનું ઉત્પાદન મથક બની શકતું હોય તો યુવાધનના જોરે ભારત માનવ સ્રોતનું મથક શા માટે ન બની શકે. માનવ મૂડીનો વિકાસ થાય તે જરૃરી છે તેની સાથોસાથ રોજગાર માટેની તકો પણ ઊભી કરવી અનિવાર્ય બની રહે છે.  યુવાધનમાં પૂરતી તાલીમ તથા કુશળતાનો અભાવ આપણી નબળી બાજુ છે.

No comments:

Post a Comment